ધ્રાંગધ્રામાં આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે. આજરોજ શહેર પ્રભારી જિજ્ઞાશાબેન નાયક અને રમિલાબેન મકવાણાની અધ્યક્ષતામાં ધ્રાંગધ્રા શહેર ભાજપ કારોબારીની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શહેર પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ અને મહામંત્રી રાજદીપકસિંહ પરમાર સહિતના અગ્રણીઓએ સંગઠનની શક્તિ અને આગામી કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે પક્ષમાં વિશેષ જવાબદારી સંભાળનાર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોઝભાઈ મકરાણી, પાટડી પ્રભારી જીતુભાઈ ચૌહાણ, મૂળી પ્રભારી કિરીટસિંહ જાડેજા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનું અભિવાદન કરાયું હતું. શક્તિ કેન્દ્રના સંયોજકો અને કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકે કાર્યકરોમાં નવો ઉત્સાહ ભર્યો છે, જ્યાં સૌએ આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા માટે મક્કમ સંકલ્પ લીધો હતો.
