ચોટીલા તાલુકાના એક ગામમાં પ્રેમ સંબંધ અને મૈત્રી કરારના મામલે પરિણીતા પર હુમલાની ધમકીનો બનાવ સામે આવ્યો છે. આ ગામમાં ખેતીકામ કરતા પરિવારની મહિલાના લગ્ન 10 વર્ષ અગાઉ થયા હતા અને તેમને સંતાનમાં બે પુત્રો છે.
અંદાજે 3 વર્ષ પહેલા પરિણીતાને પોતાના જ ગામના વિજય છગનભાઈ જોગરાજીયા નામના યુવક સાથે પરિચય થયો હતો, જે બાદમાં પ્રેમ સંબંધમાં પરિણમ્યો હતો. આશરે 6 માસ પહેલા બંને ઘરેથી ભાગી ગયા હતા અને કાયદેસરના મૈત્રી કરાર કર્યા હતા.
જોકે, પોતાના બે પુત્રોનું ભવિષ્ય અને સમાજના વડીલોની સમજાવટને ધ્યાને રાખીને પરિણીતાએ આ મૈત્રી કરાર રદ કરવાનો નિર્ણય લીધો હતો. તે વિજય સાથેનો સંબંધ તોડીને ફરી પોતાના પતિ અને બાળકો સાથે રહેવા પરત આવી ગઈ હતી.
આ નિર્ણય વિજયને મંજૂર ન હોવાથી તેણે પરિણીતાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તે અવારનવાર પરિણીતાના ઘરે જઈ સંબંધ રાખવા દબાણ કરતો અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો.
ગત 1-3-2026ના રોજ વહેલી સવારે વિજયે પરિણીતા પાસે નાણાંની માંગણી કરી હતી, જેનો ઈનકાર કરતા તેણે પતિ અને બાળકોને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરિણીતાએ પોલીસમાં અરજી કરતા વિજયના પરિવારના સભ્યો છગન ગોવિંદભાઈ, ચોથા ગોવિંદભાઈ અને ગોપાલ ચોથાભાઈ લાકડી અને છરી જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા અને આતંક મચાવ્યો હતો. સતત મળતી ધમકીઓ અને જીવના જોખમને કારણે પરિણીતાએ અંતે 12મી માર્ચના રોજ ચારેય શખ્સો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલમાં હેડ કોન્સ્ટેબલ એ.બી. ભુંસડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.
