સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આગામી 11 અને 12 માર્ચના રોજ ભવ્ય ‘ચોટીલા ઉત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ મહોત્સવમાં ગુજરાતની કલા અને સંસ્કૃતિનો સુભગ સમન્વય જોવા મળશે. આ બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ચોટીલા સ્થિત શ્રી ચામુંડા માતાજી મંદિરના તળેટી પાર્કિંગ પ્લોટ ખાતે દરરોજ રાત્રે 8 કલાકે યોજાશે.
ઉત્સવના પ્રથમ દિવસે, એટલે કે 11 માર્ચના રોજ રાજકોટના સ્પંદન ગ્રુપ દ્વારા ગણેશ વંદના અને લાવણી નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત, થાનગઢના પાંચાળ રાસ મંડળ દ્વારા રજૂ કરવામાં આવતો પ્રખ્યાત ‘હુડો રાસ’ પ્રેક્ષકોમાં આકર્ષણ જમાવશે.
ભાવનગરના પ્રાચીન ગરબા અને ડાંગના કલાકારોનું પાવરી નૃત્ય પણ આ દિવસની વિશેષતા રહેશે. પ્રથમ દિવસનું મુખ્ય આકર્ષણ અમદાવાદના રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત ‘રંગ મેઘાણી-ફોક ફ્યૂઝન મ્યુઝિક શો’ બની રહેશે, જે ઝવેરચંદ મેઘાણીની રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરશે.
મહોત્સવના બીજા દિવસે, 12 માર્ચના રોજ વડોદરાના કલાકારો દ્વારા ફ્યૂઝન ગરબા અને જોરાવરનગરના માલધારી રાસ મંડળ દ્વારા ગોફ રાસની રમઝટ બોલાવવામાં આવશે. આ સાથે જ ભરૂચના કલાકારો દ્વારા પ્રખ્યાત સિદ્દી ધમાલ નૃત્ય રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરવામાં આવશે.
કાર્યક્રમના અંતિમ ચરણમાં ગુજરાતના જાણીતા કલાકારો દ્વારા ભક્તિ સંગીત અને લોક સંગીતનો કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ દ્વારા ગુજરાતની અસ્મિતા અને લોકકલાને જીવંત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા અને કલાપ્રેમીઓને ઉમટી પડવા વહીવટી તંત્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
