સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારના ઠાકોર પરિવારની કારને મઘરીખડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામ પાસે ખુલ્લા ડિવાઈડર પરથી અચાનક ટર્ન લેતી પીકઅપ વાને કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.
આ ભયાનક દુર્ઘટનામાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉંમર 28વર્ષ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉંમર 16) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કલ્પેશભાઈ કનુભાઈ ઠાકોર (ઉંમર 29 વર્ષ), કાર ચાલક હર્ષદભાઈ (ઉંમર 30 વર્ષ) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખુલ્લા ડિવાઈડરે લીધો ભોગ ઘટનાસ્થળના પ્રાથમિક નિરીક્ષણ મુજબ, હાઈવે પર આવેલું ગેરકાયદે કે ખુલ્લું ડિવાઈડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. પીકઅપ વાને આ ડિવાઈડર પરથી અચાનક રોડ ક્રોસ કરતા સામેથી આવતી કાર સાથે તેની ટક્કર થઈ હતી. સ્થાનિકોમાં પણ આ જીવલેણ ડિવાઈડર સામે રોષ જોવા મળી રહ્યો છે.
દર્શન કરી પરત ફરતી વખતે કાળનો પંજો ચૈત્રી નવરાત્રીનો પવિત્ર તહેવાર હોવાથી અમદાવાદનો ઠાકોર પરિવાર શ્રદ્ધાપૂર્વક ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને હજુ તો તેઓ 10 કિલોમીટર જ આગળ વધ્યા હતા ત્યાં જ મઘરીખડા પાસે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી.
