સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા LPG સિલિન્ડરના વિતરણને નિયમિત બનાવવા અને કાળાબજાર રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસનો મુખ્ય હેતુ ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવાનો છે.
મધ્ય પૂર્વની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે તંત્ર સતર્ક બન્યું છે. તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવા અને સંગ્રહખોરી ન કરવા કડક સૂચના આપી હતી.
પુરવઠા વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ એકમમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ જણાશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને LPG કંટ્રોલ ઓર્ડર-2000 હેઠળ ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
