સુરેન્દ્રનગરના મફતીયાપરામાં પાયાગત સુવિધાના અભાવે લોકોનો આક્રોશ: ‘વિસાવદરવાળી’ કરવાની ચીમકી
ગટર પાણી ગંદકી સહીતની સમસ્યાઓ
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર એકમાં આવેલા મફતીયાપરા વિસ્તારના રહીશોએ વિસ્તારમાં પાયાગત સુવિધાઓના અભાવે સરકારી તંત્ર અને સ્થાનિક નેતાઓ સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. રસ્તા, ગટર અને અન્ય જરૂરી સુવિધાઓ સમયસર પૂરી પાડવામાં તંત્ર નિષ્ફળ જતાં સ્થાનિકોએ આક્રોશ સાથે ‘વિસાવદર વાળી’ કરવાની ચીમકી ઉચ્ચારી છે, જે રાજકીય સ્તરે સત્તાધીશોની બેદરકારી બદલ કડક પગલાં લેવાનો ઈશારો કરે છે.

મફતીયાપરાના રહીશોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તેમના વિસ્તારમાં રસ્તાઓ બન્યા નથી. વરસાદના કારણે સર્જાયેલા કીચડ અને ગંદકીના કારણે સ્થાનિકોને જીવન જીવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કીચડ એટલો ગંભીર છે કે તેના કારણે અનેક સ્થાનિકો લપસી પડ્યા છે અને ફેક્ચર થવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે, જેને પગલે લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, ચૂંટણીના સમયે મત લેવા માટે નેતાઓ લોકો પાસે જઈને મોટા મોટા વચનો આપે છે અને મીઠી વાતો કરીને મત મેળવી લે છે, પરંતુ એકવાર ચૂંટણી પૂરી થયા બાદ તેઓ વિસ્તારના વિકાસના કામો કરવામાં નિષ્ફળ જાય છે. મતદારોના આક્ષેપો મુજબ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિસ્તારની અવગણના કરી રહ્યા છે અને માત્ર રાજકારણમાં વ્યસ્ત રહે છે, જેના કારણે મફતીયાપરાના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે.

રહીશોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ટૂંક સમયમાં જ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં નહીં આવે અને પાયાગત સુવિધાઓ જેવી કે સારા રસ્તા અને ગટર વ્યવસ્થા પૂરી પાડવામાં નહીં આવે, તો તેઓ આગામી સમયમાં આનાથી પણ ઉગ્ર આંદોલન અને રાજકીય વિરોધ કરશે.