Surendranagar Moharram Celebration : સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ પ્રકારના જોખમી હથિયારો વિના મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી છે.
જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂના આદેશ અને ગાઈડલાઈનનું આયોજકો દ્વારા સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું. તલવાર, છરી, ખંજર, બ્લેડ અને ટ્યુબલાઈટ જેવા જોખમી સાધનો પર પ્રતિબંધ હોવાને કારણે મુસ્લિમ બિરાદરોએ માત્ર ધોકા અને લાકડીઓથી પરંપરાગત કરતબો અને અખાડા રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, તાજીયાના જુલૂસ દરમિયાન ડીજે (DJ) નો ઉપયોગ ટાળીને માત્ર માતમ અને ધાર્મિક રીત-રિવાજો સાથે શોક પ્રગટ કરાયો હતો. જિલ્લાના તમામ 66 સ્થળો પર LCB, SOG અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એસપી પોતે બજારમાં લોકો વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા.

વઢવાણમાં હિન્દુ પરિવારે તાજીયા બનાવી કોમી એકતા દર્શાવી બીજી તરફ, વઢવાણમાં કોમી એકતાની 200 વર્ષ જૂની પરંપરા આ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી. અહીં મકવાણા પરિવારની 7 પેઢીથી હિન્દુ પરિવાર દ્વારા માતાજીના મઢમાં પરંપરાગત રીતે ‘જુલ્ફીકાર’ તાજીયા બનાવવામાં આવે છે, જેમાં મુસ્લિમ પરિવારો પણ આદરભેર જોડાય છે. આ અનોખા તાજીયાના દર્શન કરવા માટે ચાલુ વર્ષે અમદાવાદ, જામનગર, રાજકોટ અને સુરત સહિતના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાઈચારાની અનોખી મિસાલ કાયમ કરી હતી.
View this post on Instagram
