ચોટીલા: ચોટીલા તાલુકાના છેક છેવાડે અને રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા શેખાલીયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા દ્વારા સેખલીયા ગામના તળાવની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
ગામના ખેડૂતો દ્વારા લાંબા સમયથી તળાવના વેસ્ટ વીઅર (Waste Weir) ની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી જેથી કરીને ચોમાસા દરમિયાન વધુ પાણીનો સંગ્રહ થઈ શકે.
જો તળાવના વેસ્ટ વીઅરને અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહેશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ સારો એવો વધારો થશે.
નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.
આ પ્રશ્નના ત્વરિત નિરાકરણ માટે તેમણે સ્થળ પરથી જ પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DE) સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
સિંચાઈ વિભાગના અધિકારીએ આ કામગીરીને ગંભીરતાથી લઈ 1 મહિનાની અંદર વેસ્ટ વીઅરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ કામ પૂરું થતાં જ સેખલીયા ગામના ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
