ગુજરાત સરકાર દ્વારા 856 કરોડ રૂપિયાના ખર્ચે સુરેન્દ્રનગરના દૂધરેજથી બહુચરાજી સુધીનો ફોરલેન હાઇવે બનાવવાની કામગીરી ચાલી રહી છે. જોકે, હાઇવે પર નડતરરૂપ વીજપોલ હટાવવાની ધીમી કામગીરીને કારણે પ્રોજેક્ટમાં વિલંબ થતાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર એક્શન મોડમાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર એજન્સીએ રજૂઆત કરી હતી કે, 2 વર્ષ પહેલાં 6 કરોડ રૂપિયાનો ચાર્જ ભર્યો હોવા છતાં વીજ વિભાગે હજુ સુધી કામ પૂરું કર્યું નથી. હાઇવે પર કુલ 759 વીજપોલમાંથી 448 હટાવી લેવાયા છે.પરંતુ 200થી વધુ થાંભલાઓ હજુ પણ બાકી છે.જેના લીધે કામગીરી અટકી પડી છે.
આ બાબતને ગંભીરતાથી લઈને જિલ્લા કલેક્ટરે પીજીવીસીએલ (PGVCL) વિભાગને આગામી 1 મહિનાની અંદર તમામ બાકી રહેલા વીજપોલ તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે કડક આદેશ આપ્યો છે.જેથી હાઇવેનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકી શકાય.
