સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપનીની કામગીરી સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આગામી સમયમાં તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ (થાંભલા) ઊભા કરવા અને હાઈટેન્શન વીજ વાયર નાખવાની કામગીરી શરૂ થવાની છે. આ કામો શરૂ થાય તે પહેલા જ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા માટે કોંઢ ગામે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો એકત્રિત થયા હતા અને કંપની સામે આરપારની લડાઈ લડવાનો નિર્ણય કર્યો હતો.
આ બેઠક દરમિયાન ખેડૂતોએ અલગ-અલગ 12 મુખ્ય મુદ્દાઓની માંગણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ખેડૂતોની મુખ્ય માંગ છે કે, વીજ લાઈન પસાર થવાને કારણે નુકસાન પામતી જમીનનું યોગ્ય અને પૂરતું વળતર આપવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને ફિક્સ માસિક ભાડું ચૂકવવામાં આવે, અગાઉ જાહેર કરાયેલા ખેડૂત વિરોધી તમામ પરિપત્રો તાત્કાલિક રદ કરવામાં આવે, તેમજ ખાનગી કંપનીઓને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતું પોલીસ પ્રોટેક્શન બંધ કરવામાં આવે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, પાવરગ્રીડ કંપનીના કામોથી ખેતીલાયક જમીનને કાયમી નુકસાન થશે. છતાં તેમના પ્રશ્નોને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે. આ અન્યાય સામે આગામી દિવસોમાં સરકાર અને કંપની વિરૂદ્ધ ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવા અને તમામ ખેડૂતોને એકજૂટ થઈ લડત આપવા આહવાન કરાયું છે.
