ગુજરાતમાં કપાસના ઉત્પાદનમાં અગ્રેસર ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ અને વૈશ્વિક સ્તરે ખાતરના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે કેન્દ્ર સરકાર દ્વારા ખાતરના ભાવમાં મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. ખાસ કરીને કપાસના વાવેતર સમયે પાયાના ખાતર તરીકે વપરાતા APS અને NPK ખાતરના ભાવમાં અનુક્રમે 700 અને 200 રૂપિયાનો વધારો થતા ખેડૂતોની ખેતી મોંઘી બની છે.
નવા ભાવ અને સ્ટોકની વિગત
નવી કિંમતો અનુસાર, APS ખાતર જે અગાઉ 1,550 રૂપિયામાં મળતું હતું. તેમાં 700 રૂપિયાનો વધારો થતા હવે ખેડૂતોએ પ્રતિ બેગ 2,250 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે NPK ખાતરના ભાવ 1,950 થી વધીને 2,150 રૂપિયા થયા છે. DAP ખાતરનો ભાવ 1350 અને યુરિયાનો ભાવ 267 રૂપિયા યથાવત રાખવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા મથકો પર કુલ 3,884 મેટ્રિક ટન NPK, 3,108 મેટ્રિક ટન યુરિયા અને 839 મેટ્રિક ટન DAP ખાતરની ફાળવણી કરવામાં આવી છે.
તાલુકાવાર ખાતરની ફાળવણી (મેટ્રિક ટનમાં):
ડેપો યુરિયા DAP NPK
ચોટીલા 112 109 206
દસાડા 352 175 295
ધ્રાંગધ્રા 448 212 551
સાયલા 322 67 374
ચુડા 157 63 487
લખતર 385 43 227
લીંબડી 459 75 239
મુળી 294 57 994
થાનગઢ 030 011 100
વઢવાણ 547 122 406
કુલ 3,108 0839 3,884
અધિકારીની અપીલ: વૈકલ્પિક ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવો
નાયબ ખેતીવાડી અધિકારી ભરત પટેલે ખેડૂતોને અપીલ કરી છે કે, હાલમાં ખાતરની અછત અને વધતા ભાવને જોતા ખેડૂતોએ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવો જોઈએ. DAP ના સ્થાને સિંગલ સુપર ફોસ્ફેટ (SSP) નો ઉપયોગ જમીન અને ખિસ્સા બંને માટે ફાયદાકારક છે. વધુમાં, જો ખેડૂતો કપાસ સાથે તુવેર જેવા સહયોગી પાકોનું વાવેતર કરે તો જમીનમાં કુદરતી રીતે નાઇટ્રોજન પેદા થાય છે. જેનાથી યુરિયાની જરૂરિયાત ઘટે છે. ખેતીના ખર્ચને ઘટાડવા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ જ હાલના સમયમાં શ્રેષ્ઠ વિકલ્પ છે.તંત્ર દ્વારા તમામ ડેપો સંચાલકોને નવા ભાવ મુજબ જ વેચાણ કરવા અને સ્ટોકની પારદર્શક જાળવણી કરવા કડક સૂચના આપવામાં આવી છે.
