ચોટીલા તાલુકાના અકાળા ગામે એક હૃદયદ્રાવક હત્યાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના આડા સંબંધના જૂના મનદુઃખમાં બે શખ્સોએ ભેગા મળીને એક યુવકની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં અરવિંદભાઈ ઉર્ફે મનસુખભાઈ પરાલીયા નામના યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે તેમની સાથે રહેલા દેવકરણભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, મૃતક અરવિંદભાઈ અને દેવકરણભાઈ મોટરસાયકલ પર વાડીએથી ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અરવિંદભાઈ ઉર્ફે એભલભાઈ રાજાભાઈ પરાલીયા અને વિપુલ ઉર્ફે વેલાભાઈ લાલાભાઇ પરાલીયાએ તેમને રસ્તામાં આંતર્યા હતા. હુમલાખોરોએ લાકડી અને છરી જેવા ધારદાર હથિયારો વડે અરવિંદભાઈ પર તૂટી પડ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ અને છરીના ઘા વાગવાના કારણે અરવિંદભાઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર કૃત્ય આચર્યા બાદ બંને આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આશરે 5 થી 6 વર્ષ પહેલા મૃતકની પત્ની જશુબેન સાથે આરોપી અરવિંદ ઉર્ફે એભલભાઈને આડા સંબંધો હતા. જે બાબતે તે સમયે મોટો ઝઘડો થયો હતો. આ જૂની અદાવત રાખીને જ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. હાલ પોલીસે બંને હત્યારાઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ તેજ કરી છે.
