સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઉજ્જૈન મહાકાલેશ્વર દાદાના દર્શનાર્થે અને બાધા પૂરી કરવા ગયેલા ત્રણ જીગરજાન મિત્રોની કારને પરત ફરતી વખતે બદનાવર પાસે અકસ્માત નડ્યો હતો. માર્ગ પર એકાએક બાઇક આડું ઉતરતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રતનપરના બે આશાસ્પદ ક્ષત્રિય યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે જોરાવરનગરનો અન્ય એક યુવક હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, જોરાવરનગર અને મૂળ મૂળીના વતની (હાલ રતનપર) મિત્રો પોતાની i20 કાર લઈને ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા અને બાધા પૂરી કરવા માટે ગયા હતા. બાધા પૂરી કરી ખુશી-ખુશી પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક બાઇક ચાલક આડો ઉતરતા કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. અને કાર ધડાકાભેર પલટી ખાઈ ગઈ હતી. અને 20 ફુટ ઉડી ખાઇમાં ખાબકી હતી
આ અકસ્માતમાં જોરાવરનગરના જયદીપસિંહ ઝાલા (ઉર્ફે ભયલુ)નું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા રતનપરના કાનભા પરમારનું પણ રતલામ ખાતે સારવાર દરમિયાન કરુણમોત નિપજ્યું હતું.
હજારોની મેદની વચ્ચે અંતિમ સંસ્કાર:
ક્ષત્રિય સમાજના બે આશાસ્પદ યુવાનોના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ઝાલાવાડ પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે. રતનપર ખાતે બંને મિત્રોની અંતિમવિધિ એકસાથે યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સહિત હજારો લોકો ઉમટી પડ્યા હતા અને અશ્રુભીની આંખે વિદાય આપી હતી.
એક યુવક ગંભીર સારવાર હેઠળ:
અકસ્માતમાં જોરાવરનગરના દંગી (કંસારા) પરિવારના યુવક યશ દંગી ને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. હાલ તેને રતલામની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે. આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા અકસ્માતના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હસતા-રમતા દર્શન કરવા ગયેલા યુવાનોના પાર્થિવ દેહ ઘરે આવતા પરિવારો પર આભ ફાટ્યું છે.
