સુરેન્દ્રનગર શહેરના આધુનિકીકરણ અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે વઢવાણ ભોગાવો નદીના કાંઠે રિવરફ્રન્ટના ત્રીજા તબક્કા અને રંભાબેન ટાઉન હોલના નવીનીકરણનું શાસ્ત્રોક્ત વિધિ સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિક ટમાલિયા, મનપાના અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. 56 કરોડના ખર્ચે સાકાર થનાર રિવરફ્રન્ટ ફેઝ-3 પ્રોજેક્ટની વિગત આપતા જગદીશભાઈએ જણાવ્યું કે, બસ સ્ટેન્ડ પાછળથી ગેબનશા પીર સુધીના અંદાજે 3 કિલોમીટરના વિસ્તારમાં આ વિકાસ કાર્ય હાથ ધરાશે.
પ્રથમ બે ફેઝની સફળતા બાદ, આ ત્રીજો ફેઝ શહેરની સુંદરતામાં વધારો કરશે અને નાગરિકોને હરવા-ફરવા માટે નયનરમ્ય સ્થળ પૂરું પાડશે. આ ઉપરાંત, શહેરની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન રંભાબેન ટાઉન હોલને રૂ. 8 કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવશે, જેથી સામાજિક કાર્યક્રમો માટે ઉત્તમ પ્લેટફોર્મ મળી રહે.
સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના કાર્યો માટે ઉદાર હાથે ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. છેવાડાના માનવી સુધી પાયાની અને આધુનિક સુવિધાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતા સુરેન્દ્રનગર સ્માર્ટ સિટી તરફ મક્કમ ડગલાં માંડશે. કાર્યક્રમમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણા સહિતના મહાનુભાવોએ હાજરી આપી શહેરના ઉજ્જવળ ભવિષ્યની આશા વ્યક્ત કરી હતી.
