સુરેન્દ્રનગર શહેરના આયોજનબદ્ધ વિકાસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ને વેગ આપવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્લમ રીહેબિલીટેશન સમિતિ (SRC)’ ની વિધિવત રચના કરવામાં આવી છે.
ગુજરાત ગંદા વસવાટ વિસ્તાર અધિનિયમ, 1973 અંતર્ગત રચાયેલી આ 9 સભ્યોની કમિટી શહેરને ઝૂંપડપટ્ટી મુક્ત બનાવવા અને આધુનિક શહેરી સુવિધાઓ વિકસાવવા માટે પાયાનું કામ કરશે. આ સમિતિના ગઠનથી આગામી સમયમાં શહેરના આંતરમાળખાકીય વિકાસ અને આવાસ યોજનાઓને નવી ગતિ મળશે.
મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને બનેલી આ ઉચ્ચ સ્તરીય સમિતિમાં પ્રતિષ્ઠિત બિલ્ડર એસોસિએશન CREDAI/NAREDCO ના પ્રતિનિધિ તરીકે લીંબડીના જાણીતા બિલ્ડર યતીનભાઈ દુબ્બલની વરણી કરવામાં આવી છે.
મોટા પ્રોજેક્ટ્સનો બહોળો અનુભવ ધરાવતા યતીનભાઈના સમાવેશથી નવી ટી.પી. (TP) સ્કીમોના અમલીકરણ અને આધુનિક ટાઉન પ્લાનિંગમાં શહેરને મોટો ટેકનિકલ ફાયદો થશે. આ કમિટીમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, નિવાસી અધિક કલેક્ટર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ સમિતિ મુખ્યત્વે PMAY યોજના હેઠળ ઝૂંપડપટ્ટી વિસ્તારોનો પુનર્વિકાસ કરવા, નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ અને નવી ટી.પી. સ્કીમોને આધુનિક ઢબે ડેવલપ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સુરેન્દ્રનગરને સ્માર્ટ અને સુવિધાયુક્ત શહેર બનાવવાના લક્ષ્યાંક સાથે લેવાયેલા આ નિર્ણયથી નગરજનોમાં આનંદની લાગણી વ્યાપી છે. આ નિમણૂકો બાદ શહેરના વિકાસ કાર્યોમાં વહીવટી પારદર્શિતા અને ઝડપ આવવાની પૂરી સંભાવના છે.
