સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય અને માઈનોર કેનાલો હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. કેનાલોમાં ઠેર-ઠેર ગાબડાં પડવાના કારણે પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ખાસ કરીને કોઠારીયા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં મોટા ગાબડાં પડવાને લીધે આસપાસના 50 થી વધુ ખેતરોમાં પાણી ભરાઈ રહ્યા છે, જેના પરિણામે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ છે અને ખેડૂતો વાવેતર કરી શકતા નથી.
સ્થાનિક ખેડૂતો છેલ્લા 1 વર્ષથી આ અંગે તંત્રને રજૂઆત કરી રહ્યા છે. અગાઉ અધિકારીઓ દ્વારા એપ્રિલ મહિનામાં રિપેરિંગ કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે દર વર્ષે કેનાલ તૂટવાને કારણે ઊભા પાકને નુકસાન થાય છે, જેનાથી મહેનત અને બિયારણનો ખર્ચ પણ માથે પડે છે. હાલમાં કેનાલમાં પાણી ચાલુ હોવા છતાં રિપેરિંગ શરૂ ન થતા ખેડૂતોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ખેડૂતોએ માંગ કરી છે કે ભલે 2 મહિના સુધી કેનાલો બંધ રાખવી પડે, પરંતુ તેનું કાયમી અને મજબૂત રિપેરિંગ કરવામાં આવે. જો કેનાલો વ્યવસ્થિત રીતે રિપેર થશે તો જ ખેતરોમાં આવતો ભેજ અને પાણીના ભરાવાની સમસ્યા દૂર થશે. વઢવાણ તાલુકાના ખેડૂતોએ લેખિત રજૂઆત કરી તાત્કાલિક ધોરણે આ કામગીરી હાથ ધરવા તાકીદ કરી છે જેથી આગામી સિઝનમાં પાકને બચાવી શકાય.
