ગુજરાતમાં વાતાવરણમાં સર્જાયેલા સતત ડિસ્ટર્બન્સને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં 1 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને 2 સાયકલોનિક સર્ક્યુલેશન એમ કુલ 3 સિસ્ટમ સક્રિય થઈ છે.
આ ફેરફારને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સાથે 40 થી 50 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ખેતરમાં કાપણી કરેલા ઘઉં, તલ અને ચણા જેવા પાકોને સુરક્ષિત સ્થળે ખસેડવા તથા માર્કેટિંગ યાર્ડમાં જણસને શેડ નીચે રાખવા સૂચના અપાઈ છે.
ભારે પવનની શક્યતાને જોતા કાચા મકાનો કે ઝૂંપડામાં રહેતા લોકોને પણ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કમોસમી માવઠાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
