સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થતા જ રાજકીય માહોલ ગરમાયો છે. આ વખતે મૂળી તાલુકાના ખેડૂતોએ પ્રસ્થાપિત રાજકીય પક્ષો સામે બંડ પોકાર્યો છે.
ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પર ભરોસો રાખવાને બદલે ખેડૂતોએ પોતાની સ્વતંત્ર ‘ખેડૂત પેનલ’ બનાવી ચૂંટણી લડવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. મૂળી તાલુકા પંચાયતની તમામ 18 બેઠકો અને જિલ્લા પંચાયતની 03 બેઠકો (મૂળી-01, મૂળી-02 અને સરા) પર ખેડૂતો પોતાના ઉમેદવારો ઉતારશે.
ખેડૂતોમાં આ રોષ પાછળ મુખ્ય કારણો સિંચાઈના પાણીની સમસ્યા, જણસના અપૂરતા ભાવ અને ખેતી માટે જરૂરી યુરિયા-ડીએપી ખાતર તેમજ બિયારણની અછત છે.
ખેડૂત આગેવાનોનું કહેવું છે કે દર વર્ષે રજૂઆતો કરવા છતાં કોઈ પણ પક્ષ તેમના પ્રશ્નો સાંભળવા તૈયાર નથી. ગત ચૂંટણીમાં કોંગ્રેસની નિષ્ક્રિયતાને કારણે કેટલીક બેઠકો બિનહરીફ થઈ હતી, પરંતુ આ વખતે ખેડૂતો જ્ઞાતિ-જાતિના વાડાઓથી ઉપર ઉઠીને માત્ર ‘ખેડૂત’ ઓળખ સાથે મેદાને પડશે.
આ નિર્ણયથી સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. ખેડૂત પેનલના આગમનથી હવે મૂળી તાલુકામાં ત્રિપાંખિયાને બદલે ચતુષ્કોણીય જંગ ખેલાશે, જેની સીધી અસર ભાજપ અને કોંગ્રેસની વોટબેંક પર પડી શકે છે. જ્યારે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે આ પેનલના ઉમેદવારો સત્તાવાર રીતે પોતાની દાવેદારી નોંધાવશે.
આ પહેલથી પરંપરાગત રાજકીય પક્ષોમાં ફફડાટ ફેલાયો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂત પેનલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો ખેડૂતો એકજુથ થઈને મતદાન કરશે, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આશ્ચર્યજનક આવી શકે છે.
