સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જીતનો પાયો નાખવા કમર કસી છે. વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ મેમકા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો સાથે એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠક યોજી હતી. આ બેઠકમાં આગામી ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં આવી હતી અને સંગઠનની તાકાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
ધારાસભ્યએ કાર્યકરોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, ભાજપની ખરી શક્તિ તેના પાયાના કાર્યકર્તાઓ છે. તેમણે દરેક કાર્યકરને સરકારની જનકલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને લોકસંપર્ક વધારવા હાકલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેશભાઈ પટેલ, ઉપપ્રમુખ રામભાઈ ચાવડા અને વઢવાણ ગ્રામ્ય મંડલ પ્રમુખ ઘનશ્યામભાઈ વસવેલીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. 2026ની ચૂંટણી પૂર્વે આ બેઠકથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સૌએ ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ લીધો છે.
