સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. દસાડા વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જોકે, આ પ્રક્રિયા દરમિયાન પક્ષના નેતાઓએ ઉમેદવારોની લોકપ્રિયતા કે કામગીરીને બદલે તેમની આર્થિક સ્થિતિ પર સવાલો કરતા મોટો વિવાદ સર્જાયો છે. બંધ બારણે યોજાયેલી આ બેઠકમાં ઈચ્છુક ઉમેદવારોને “ચૂંટણીમાં કેટલો ખર્ચ કરી શકશો?” તેવા પ્રશ્નો પૂછાતા કાર્યકરોમાં ગણગણાટ શરૂ થયો છે.
ચાલુ વર્ષે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે AAP દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવાની કવાયત તેજ કરી છે. દસાડામાં પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓ સમક્ષ જ્યારે કાર્યકરો સેન્સ આપવા પહોંચ્યા, ત્યારે તેમને પક્ષ માટેના સમર્પણને બદલે નાણાકીય પાસાઓ વિશે પૂછપરછ કરવામાં આવી હતી.
નિયમ મુજબ લોકસેવા કરતા અને જનતાની વચ્ચે રહેતા કાર્યકરોને પ્રાધાન્ય આપવાની સૂચના હોવા છતાં, આર્થિક આકારણીને મહત્વ અપાતા પક્ષની આંતરિક શિસ્ત પર સવાલો ઉઠ્યા છે.
આ ઘટનાને પગલે દસાડા AAPના વફાદાર કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોનું કહેવું છે કે જો માત્ર આર્થિક સધ્ધરતા જોઈને જ ટિકિટ આપવામાં આવશે, તો સામાન્ય અને મહેનતુ કાર્યકર અન્યાયનો ભોગ બનશે.
હજુ ઉમેદવારોના નામ નક્કી થાય તે પહેલા જ “કેટલા રૂપિયા ખર્ચશો?” જેવા સવાલોએ વિવાદને ચરમસીમાએ પહોંચાડ્યો છે. આ વિવાદની અસર આગામી ચૂંટણી પ્રચાર અને સંગઠનની એકતા પર પડી શકે તેમ છે.
