વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’માં આ વખતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની દીકરી પાયલબેન મુંજપરા ચમક્યા છે. પાયલબેન ‘સેવા’ સંસ્થા સાથે જોડાઈને સોલાર ફિટિંગ કમ હેલ્પર તરીકેની વિશેષ તાલીમ લીધા બાદ પીએમ સૂર્ય ઘર યોજનામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓ ઘરે-ઘરે જઈને લોકોને સૌર ઊર્જાના ફાયદા સમજાવે છે અને સોલાર પેનલ ફિટિંગનું કામ કરીને આર્થિક રીતે સ્વનિર્ભર બન્યા છે.
વડાપ્રધાને પાયલબેનના આ ઉત્કૃષ્ટ કાર્યની સરાહના કરતા જણાવ્યું હતું કે, પાયલબેન માત્ર પોતે જ રોજગારી નથી મેળવી રહ્યા, પરંતુ અન્ય મહિલાઓને પણ તાલીમ આપીને સ્વનિર્ભર બનવા પ્રેરિત કરી રહ્યા છે. રવિવારે પ્રસારિત થયેલા કાર્યક્રમમાં પાયલબેનના સંઘર્ષ અને સફળતાની ગાથા દેશભરના શ્રોતાઓ સુધી પહોંચી હતી.
કેન્દ્ર સરકારની સોલાર યોજનાને જન-જન સુધી પહોંચાડવામાં પાયલબેન જેવી મહિલાઓનો ફાળો મહત્વનો છે. આ ગૌરવશાળી સિદ્ધિ બદલ ભરાડા ગામ સહિત સમગ્ર ઝાલાવાડમાં હર્ષની લાગણી ફેલાઈ છે. પીએમ મોદીએ અન્ય મહિલાઓને પણ સરકારી યોજનાઓનો લાભ લઈ આત્મનિર્ભર બનવા આહવાન કર્યું હતું.
