સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જ કરોડો રૂપિયાનું બજેટ રજૂ કરી પ્રજાલક્ષી સુવિધાઓના મોટા દાવા કરવામાં આવ્યા છે. જોકે, વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે.
શહેરના જવાહર રોડ પર આવેલી સરદાર સોસાયટી નજીક, બધેકા શાળા સામેના જૈન ઉપાશ્રય પાસે પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઈન તૂટેલી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે ભર ઉનાળે રસ્તાઓ પર હજારો લિટર પીવાનું શુદ્ધ પાણી વહી રહ્યું છે.
આ ભંગાણને કારણે માર્ગ પર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં રહીશો પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે અને અનિયમિત પાણી પુરવઠાની બૂમો ઉઠી રહી છે, ત્યારે બીજી તરફ લાખો લિટર પાણીનો આ પ્રકારે વેડફાટ થતા સ્થાનિકોમાં મનપાના સત્તાધીશો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકોની માંગ છે કે મહાનગરપાલિકા તંત્ર માત્ર કાગળ પર બજેટ રજૂ કરવાને બદલે પાયાની આવી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને પાણીનો બગાડ અટકાવે.
