સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પંથકમાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓના જીવનમાં મુશ્કેલીઓ ઉભી કરી છે. આ કુદરતી આફતને કારણે મીઠું પકવતા અગરિયાઓના સોલાર પેનલ, રહેણાંક ઝૂંપડા અને તૈયાર થયેલા મીઠાના જથ્થાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.
આ ગંભીર સ્થિતિની સમીક્ષા કરવા માટે રણમાં આવેલ વચ્છરાજ દાદાના મંદિર ખાતે ‘અગરિયા હિત રક્ષક મંચ’ની અધ્યક્ષતામાં એક વિશાળ સભા યોજાઈ હતી, જેમાં 500 થી વધુ અગરિયાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રજૂઆત કરવામાં આવી હતી કે વાવાઝોડાના કારણે અગરિયા દીઠ અંદાજે 2 લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. અગરિયા આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં હજુ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિસાદ કે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી નથી.
એટલું જ નહીં, વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો કોઈ સત્તાવાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો નથી. અગરિયા હિત રક્ષક મંચના પ્રમુખે તાત્કાલિક ધોરણે સહાયનો પરિપત્ર જાહેર કરવા અને પિડીત પરિવારોને વળતર ચૂકવવા માંગ કરી છે. જો સરકાર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં નહીં આવે, તો અગરિયા સમુદાય આગામી સમયમાં રજૂઆતના અન્ય માર્ગો અપનાવશે તેવી પણ ચર્ચા કરવામાં આવી હતી.
