ચોટીલા વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: LCB એ રૂ. ૮૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી લીધા
સુરેન્દ્રનગર: LCB એ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવી, અનડિટેક્ટ ગુનાઓ તાત્કાલિક ડીટેક્ટ કરવા માટે એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમોએ અસરકારક કામગીરી જોવા મળી છે.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલો આશરે ૧૦૦ કી.ગ્રા. તાંબાનો વાયર જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ હજાર તથા રૂ. ૧૦,૫૦૦ ના ૩ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સુરેશભાઈ મનસુખભાઇ માથાસુરીયા (રહે. થાનગઢ), હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા (રહે. દેવસર, ચોટીલા), ગજુભાઇ ઉર્ફે સુરેશભાઇ બચુભાઇ સોલંકી (રહે. મોરબી) ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ઈસમોને ચોટીલા પોલીસ માથકે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.