Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ “મંગલ મહોત્સવ” નો ભક્તિસભર માહોલમાં આરંભ થયો છે. મંગળ ચોઘડિયામાં શરૂ થયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્સવના પ્રારંભે શ્રી વર્ણીપ્રભુનો 500 લિટર દૂધ, વિવિધ ઔષધિઓ, ફળોના રસ, ચંદન અને સુગંધિત રંગો વડે દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
મંદિરમાં સવારની શણગાર આરતી બાદ ભગવાન સમક્ષ 1500 કિલો શાકભાજી અને તાજા ફળોની મનોહર હાટડી (અન્નકૂટ) ભરવામાં આવી હતી. મુખ્ય મંદિરમાં જનમંગલ સ્ત્રોતના ગાન સાથે પૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, મંદિરના પ્રાંગણમાં શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત “બીજ મંત્ર યાગ” અને શ્રી શિક્ષાપત્રી “જળાભિષેક યાગ”નો પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થયો હતો. યાગની પૂર્ણાહુતિ બાદ સંતો અને ભક્તો દ્વારા આહુતિ આપવામાં આવી હતી.
View this post on Instagram
આ પ્રસંગે એક ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી સહિતના સંતો અને હજારો હરિભક્તો જોડાયા હતા. બેન્ડવાજા, ઢોલ-નગારા અને છત્ર-ચામર સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર પાટડી પંથક ભક્તિમય બની ગયો હતો. અંતમાં મહા નિરાજન આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.