સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે ખેતરમાં ઉભા પાકને થયેલા નુકસાન મામલે પાક નુકસાનીની સહાય ચુકવવાની માંગ સાથે ૩૦૦ જટેલા ખેત મજૂરો મુળીમાં રેલી કાઢી હતી અને સુત્રોચ્ચાર કરી મામલતદારને આવેન આપ્યું હતું. ખેત મજૂરોએ કહ્યું કે સરકારે ખેડૂતોને રૂ. ૧૦ હજાર કરોડનું પેકેજ આપ્યું પણ રાત-દિવ્ય પરસેવો પાડતા મજૂરો હજુ વંચિત કેમ રખાયા. સરકાર ખેડૂતોની જેમ અલગ બજેટ ફાળવવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર માસમાં થયેલા અનરાધાર વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સ્થિતિએ કૃષિ ક્ષેત્રને પાયમાલ કરી દીધું હતું. કપાસ, તલ, મગફળી અને શાકભાજી જેવા તૈયાર પાકો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેડૂતોની સાથે સાથે ખેત મજૂરોની આજીવિકા પર પણ મોટો ફટકો પડયો હતો. ખેડૂતોની રજૂઆતો બાદ રાજ્ય સરકાર દ્વારા અંદાજે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું આથક સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લાના આશરે ૧.૯૦ લાખ ખેડૂતોને આ સહાય ચૂકવવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલી રહી છે, પરંતુ ખેતરોમાં ભાગવી ખેતી કરતા હજારો ખેત મજૂરો આ સહાયથી સંપૂર્ણપણે વંચિત રહી ગયા છે, જેને લઈને હવે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યપ્રદેશ, ગોધરા અને મહારાષ્ટ્ર જેવા વિસ્તારોમાંથી હજારો શ્રમિકો આવીને ‘ભાગવી ખેતી’ કરે છે. સામાન્ય રીતે આ પદ્ધતિમાં ૭૦ ટકા હિસ્સો ખેડૂતનો અને ૩૦ ટકા હિસ્સો મજૂરનો હોય છે. જ્યારે પાક નિષ્ફળ જાય છે, ત્યારે મજૂરોની મહેનત અને તેમના ભાગે આવતી આવક બંનેમાંથી હાથ દોવાનો વારો આવે છે. જિલ્લામાં આવા ૧૦,૦૦૦થી વધુ ખેત મજૂરો છે જેમના અસ્તિત્વ સામે સવાલ ઊભો થયો છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે મૂળી તાલુકામાં ૩૦૦થી વધુ ખેત મજૂરોએ એકત્રિત થઈ વિશાળ રેલી યોજી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ રેલીમાં મજૂરોએ સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરકાર ખેત મજૂરો માટે અલગથી બજેટ ફાળળેઃ મજૂર આગેવન ખેત મજૂર આગેવાન અજય ભુરિયાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘સરકારે ખેડૂતો માટે તિજોરી ખોલી છે તે આવકાર્ય છે, પરંતુ જે મજૂર ૩૦ ટકાના ભાગે આખું વર્ષ ખેતરમાં મહેનત કરે છે તેના માટે કોઈ વિચારણા કરવામાં આવી નથી. સરકાર મજૂરો માટે અલગથી બજેટ ફાળવે તેવી અમારી માંગ છે.’ આ લડતમાં ખેડૂતોએ પણ મજૂરોને સમર્થન આપ્યું છે.
વળતર નહીં ચૂકવે તો ભવિષ્યમાં ખેત મજૂરો નહીં મળેઃ ખેડૂત અગ્રણી ખેડૂત અગ્રણી અશોક પટેલે જણાવ્યું કે, ખેત મજૂરોની હાલત ચાલુ વર્ષે અત્યંત ખરાબ છે, જો તેમને વળતર નહીં મળે તો આગામી સમયમાં ખેતીકામ માટે મજૂરો મળવા મુશ્કેલ બનશે. જો સરકાર આગામી દિવસોમાં મજૂરો માટે હકારાત્મક નિર્ણય નહીં લે તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.