થાનગઢ શહેરના મધ્ય ભાગમાં આવેલી અને રાજાશાહી સમયનું ઐતિહાસિક મહત્વ ધરાવતી જૂની ફોરેસ્ટ ઓફિસ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાનો શિકાર બની છે.
લાંબા સમયથી જાળવણીના અભાવે આ ઓફિસના બારી-બારણા તૂટી ગયા છે અને મુખ્ય દરવાજો ગાયબ થતા આ સ્થળ અસામાજિક તત્વો અને ગંદકીનું કેન્દ્ર બની ગયું છે. આ પરિસ્થિતિને કારણે આસપાસના રહીશોની સલામતી સામે મોટો ખતરો ઊભો થયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરવાજો ન હોવાથી લોકો અહીં કચરો અને મૃત પશુઓ ફેંકી જાય છે, જેના કારણે ગંદકી અને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
જોકે, આરએફઓ રાજાનીએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ આ જર્જરિત ઓફિસની સફાઈ કરાવીને મુખ્ય દરવાજાને તાળું મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જેથી વિસ્તારની સુરક્ષા જળવાઈ રહે.
