સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગના હબ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને ગેસ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા જટિલ સ્લેબના વિરોધમાં ઉદ્યોગકારોએ આગામી 1 મે સુધી કારખાનાઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ હડતાળના કારણે થાનગઢના 250 થી વધુ એકમોને તાળા લાગી ગયા છે અને અંદાજે 40,000 થી વધુ શ્રમિકો બેરોજગાર થઈ વતન પરત ફર્યા છે. ગેસના નવા સ્લેબ મુજબ, 50% વપરાશ માટે 53 રૂપિયા, 30% માટે 75 રૂપિયા અને 20% માટે 85 રૂપિયાનો દર નક્કી કરાયો છે.
જોકે, ઉદ્યોગકારોનું કહેવું છે કે આ સ્લેબ સિસ્ટમ અને અન્ય ચાર્જ ઉમેરાતા ઉત્પાદન ખર્ચ (Costing) ખૂબ જ વધી જાય છે, જે આજના સ્પર્ધાત્મક યુગમાં પરવડે તેમ નથી. વધુમાં, મિડલ ઈસ્ટના દેશો વચ્ચેના તણાવને કારણે વિદેશી વેપાર પર પણ માઠી અસર પડી છે.
પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરવામાં આવી છે કે નવા સ્લેબનો અમલ 09 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે. ઉદ્યોગકારોના મતે, છેલ્લા 15 દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી મોટાભાગના મજૂરો પરપ્રાંતમાં જઈ ચુક્યા છે, જેના કારણે ઉત્પાદન તાત્કાલિક શરૂ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠી શરૂ કરવા માટે પણ 3 થી 4 દિવસનો સમય લાગે છે. આ ગૂંચવણભરી પરિસ્થિતિને ઉકેલવા અને જૂની કોન્ટીટીને ધ્યાને લેવાની માંગ સાથે ઉદ્યોગકારોએ 1 મે સુધી સ્વૈચ્છિક વેકેશન જાહેર કર્યું છે.
