સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે સિરામિક ઉદ્યોગની કમર તોડી નાખી છે.
ગત તા. 20 ના રોજ ફૂંકાયેલા જોરદાર પવનને કારણે થાન શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા અંદાજે 20 થી વધુ સિરામિક એકમોના શેડના પતરા હવામાં ઉડી ગયા હતા. આ કુદરતી આફતને કારણે ઉદ્યોગકારોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
વાવાઝોડાની સાથે વરસાદ ખાબકતા સિરામિક ફેક્ટરીઓમાં રાખેલો કાચો માલ અને મશીનરીને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત, વીજળીના થાંભલા ધરાશાયી થતાં અનેક કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના કારણે ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક સ્તરે યુદ્ધની પરિસ્થિતિ અને મંદીને કારણે થાનનો સિરામિક ઉદ્યોગ પહેલેથી જ સંકટમાં હતો, ત્યારે હવે કુદરતના આ પ્રકોપે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જી છે.
સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક લઘુ ઉદ્યોગો હવે બંધ થવાની અણી પર છે. આ કપરી પરિસ્થિતિમાં ઉદ્યોગકારોએ સરકાર પાસે નુકસાનીનો સર્વે કરાવીને ખાસ આર્થિક પેકેજ (Special Package) જાહેર કરવાની માંગ કરી છે, જેથી આ ઐતિહાસિક ઉદ્યોગને ફરી બેઠો કરી શકાય.
