સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ (Climate Change) ખેડૂતોની ચિંતામાં ભારે વધારો કર્યો છે. સતત ત્રીજા વર્ષે ઉનાળામાં પડેલા કવખતના માવઠાને (Unseasonal Rain) કારણે તૈયાર થયેલા પાક પર પાણી ફરી વળ્યું છે. સુરેન્દ્રનગરના વઢવાણ, સાયલા અને થાનગઢ પંથકમાં વરસાદી ઝાપટાં પડવાથી વરિયાળી, એરંડા અને ચણા જેવા રવી પાકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ચાલુ વર્ષે જિલ્લાના ખેડૂતોએ આશરે 32,000 હેક્ટર જમીનમાં ઉનાળુ પાકનું વાવેતર (Sowing) કર્યું હતું, પરંતુ કુદરતી આફતે જગતના તાતની આર્થિક કમર તોડી નાખી છે.
વરસાદની સાથે ફૂંકાયેલા ભારે પવન (Strong Wind) ને કારણે બાગાયત પાકોને (Horticulture Crops) સૌથી વધુ અસર થઈ છે. ખાસ કરીને દાડમ, સરગવો, લીંબુ અને આંબામાં આવેલો ફાલ (Flowering) ખરી પડ્યો છે. મૂળી તાલુકાના ખેડૂત ગણપત પટેલના જણાવ્યા મુજબ, ખેડૂતો વર્ષમાં એકવાર આ પાક લેતા હોય છે, પરંતુ પવનના કારણે ફળ તૂટી પડતા લાખોનું નુકસાન થયું છે. ખેડૂતોમાં રોષ છે કે વર્ષ 2020 થી ગુજરાતમાં પાક વીમા યોજના (Crop Insurance Scheme) બંધ કરી દેવામાં આવી છે. અન્ય રાજ્યોમાં આ સુવિધા ચાલુ હોવા છતાં, ગુજરાતના ખેડૂતોને માવઠાના નુકસાન સામે કોઈ વળતર (Compensation) મળી રહ્યું નથી.
સરકાર દ્વારા અવારનવાર નુકસાનીનો સર્વે (Survey) કરવામાં આવે છે, પરંતુ સહાયના નામે ખેડૂતોને માત્ર વાયદા જ મળે છે. તૈયાર થયેલો માલ ખેતરોમાં પલળી જવાથી ખેડૂતોનો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. મોંઘા બિયારણ અને ખાતરના ખર્ચ સામે હવે ખેડૂતો દેવામાં ડૂબે તેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોની સખત માંગ છે કે પાક વીમા યોજના ફરી શરૂ કરવામાં આવે જેથી આવી આફતો સમયે તેમને આર્થિક સધિયારો મળી રહે.
