સુરેન્દ્રનગરના નવા 80 ફૂટ રોડ પર આવેલી ઉમિયા ટાઉનશીપ-1માં તસ્કર ટોળકીએ તરખાટ મચાવ્યો છે. માત્ર 2 કલાકના ટૂંકા ગાળામાં તસ્કરોએ 3 બંધ મકાનોને નિશાન બનાવી રોકડ, સોના-ચાંદીના દાગીના અને બાઈક સહિત કુલ 4,84,600 રૂપિયાની મત્તાની ચોરી કરી છે.
આ ઘટના અંગે ભરતભાઈ કરશનભાઈ પરમારે સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં 4 અજાણ્યા શખ્સો કેદ થયા છે, જેમના આધારે પોલીસે તપાસ તેજ કરી છે.
ભરતભાઈના મકાનમાંથી 2,10,000 રૂપિયા રોકડા અને 1,80,000 રૂપિયાની કિંમતના સોનાના દાગીના તેમજ ચાંદીની વસ્તુઓની ચોરી થઈ છે. આ ઉપરાંત, તસ્કરોએ પડોશમાં રહેતા વાલજીભાઈનું 40,000 રૂપિયાનું બાઈક અને શિલ્પાબેનના ઘરેથી 25,000 રૂપિયાની રોકડ રકમ પણ હડપી લીધી છે.
ભોગ બનનાર ભરતભાઈ કરશનભાઇ પરમારે જણાવ્યું કે, તેમની 18 દિવસ પહેલા તેમની પત્નીને દીકરાનો જન્મ થયો હોય તે વતન વાડલા ગામ ગયા અને મકાન બંધ હતું, જેનો લાભ તસ્કરોએ ઉઠાવ્યો હતો. મારી આટલી ઉંમરની કમાયેલી રોકડ, સોના-ચાંદીના ઘરેણા સહિતની મૂડી ચોરાઇ ગઇ છે.
ચોંકાવનારી વાત એ છે કે પોલીસ પેટ્રોલિંગની ગાડી નીકળ્યાના માત્ર એક કલાક બાદ જ રાત્રે 2 વાગ્યે તસ્કરો સોસાયટીમાં પ્રવેશ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા PSI એમ.એચ. પઠાણ સહિતના કાફલાએ ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરી છે. રહેણાંક વિસ્તારમાં થયેલી આ મોટી ચોરીને પગલે સ્થાનિક રહીશોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
