સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો મહત્વાકાંક્ષી ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ હાલ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે આફત સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને વઢવાણ-સુરેન્દ્રનગર વચ્ચે ઝડપી અવરજવર માટે કરોડોના ખર્ચે બનેલા આ રિવરફ્રન્ટની હાલત અત્યંત બિસ્માર થઈ ગઈ છે.
ખાસ કરીને સાયન્સ કોલેજ સામેના જોખમી વળાંક પર મોટા ખાડાઓ પડી જવાથી અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. નબળી કામગીરીને કારણે રિવરફ્રન્ટ વારંવાર વિવાદોમાં રહ્યો છે અને હવે તેના નવીનીકરણની કામગીરી પણ અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સાયન્સ કોલેજ પાસે ઢાળ અને વળાંક હોવાથી વાહનચાલકો અચાનક ખાડો આવતા બ્રેક મારે છે, જેના કારણે પાછળથી આવતા વાહનો અથડાવાના બનાવો રોજિંદા બન્યા છે. આ જીવલેણ ખાડાઓને કારણે અનેક વાહનચાલકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને વાહનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે.
જોકે મહાનગરપાલિકા દ્વારા નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, પરંતુ લોકમાગ છે કે જ્યાં સુધી નવો રોડ તૈયાર ન થાય ત્યાં સુધી આ જોખમી ખાડાઓનું તાત્કાલિક પેચવર્ક કરવામાં આવે. તંત્રની આળસને કારણે કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે વહેલી તકે મરામત કરવાની ઉગ્ર માંગ ઉઠી છે.
