સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર આવેલા રાજ સીતાપુર રેલવે ફાટક પાસે ફાટકમેનની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રેન આવવાના સમયે ફાટક બંધ કરતી વખતે ટ્રેક પર પસાર થઈ રહેલા વાહનોને બહાર નીકળવાની તક આપ્યા વગર જ ફાટક બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઘટનાને કારણે ગુજરાત એસટી બસ અને અન્ય ખાનગી વાહનો બે ફાટકની વચ્ચે રેલવે ટ્રેક પર જ ફસાઈ ગયા હતા.
અચાનક ફાટક બંધ થઈ જતાં વાહનચાલકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. જોકે, વાહનચાલકોએ સમયસૂચકતા વાપરી વાહનોને ટ્રેકની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં ખસેડી લેતા મોટી જાનહાનિ ટળી હતી. ટ્રેન પસાર થયા બાદ વાહનચાલકોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી બેદરકાર ફાટકમેન વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી છે. સ્થાનિકોના મતે, વાહનો સંપૂર્ણ પસાર થઈ જાય તેની ખાતરી કર્યા બાદ જ ફાટક બંધ કરવું જોઈએ જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય.
