સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અનાજની કાળાબજારી રોકવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે વઢવાણ-લખતર રોડ પર યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે આકસ્મિક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ લેલન પીકઅપ ગાડી (GJ03BW7406) ને અટકાવી હતી.
વાહનની તપાસ કરતા તેમાંથી કોઈપણ આધાર-પુરાવા વિનાનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનચાલક પાસ-પરમિટ કે બિલ રજૂ ન કરી શકતા, પુરવઠા વિભાગે 2311 કિલોગ્રામ (46 કટ્ટા) ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહીમાં 62,411 રૂપિયાની કિંમતના ચોખા અને 4 લાખની કિંમતનું વાહન મળી કુલ 4,62,411 રૂપિયાનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
