મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલની મોટી અછત સર્જાઇ રહી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ન મળવાના કારણે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.
તંત્ર અને સરકાર દ્વારા પેટ્રોલ પંપો પર પૂરતા પ્રમાણમાં સ્ટોકની ફાળવણી કરવામાં ન આવતા પુરવઠો ખૂટી ગયો છે. હાલમાં જિલ્લાના 70% જેટલા પેટ્રોલ પંપો સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. જેના કારણે ખેતી, ટ્રાન્સપોર્ટ અને ઔદ્યોગિક એકમો પર તેની સૌથી માઠી અસર જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર ઇંધણનો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પેટ્રોલ પુરાવવા માટે ચાલકોને 2 કલાક સુધી વેઇટિંગમાં ઊભા રહેવું પડે છે. જ્યારે ડીઝલ માટે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર મોટા વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.
ડીઝલ આધારિત ચાલતા ધંધા-રોજગાર અને વાહનો અટકી પડતા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.જેને પગલે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ડીઝલની તંગીના કારણે સુરેન્દ્રનગર અને વઢવાણ GIDC વિસ્તારમાં આવેલી ભઠ્ઠીઓ તથા કારખાનાઓ બંધ થવાની અણી પર છે. પેટ્રોલ પંપ ધારકોને હાલમાં રોજનું માત્ર 22,000 લીટર ડીઝલ ફાળવવામાં આવી રહ્યું છે. જે જરૂરિયાત સામે ખૂબ જ ઓછું છે.
આ મર્યાદિત જથ્થાને કારણે કોને ડીઝલ આપવું અને કોને ન આપવું તે બાબતે પંપ સંચાલકો અને વાહનચાલકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
આ કટોકટી વચ્ચે સ્થાનિક વાહનચાલક ભાનુભાઈ ચૌહાણે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના એક્ટિવા વાહનમાં પેટ્રોલ પુરાવવા માટે શહેરના 4 થી વધુ પેટ્રોલ પંપ પર ગયા હતા. પરંતુ તમામ જગ્યાએ નો-સ્ટોકના બોર્ડ જોવા મળ્યા હતા.
જ્યાં સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં ભારે અરાજકતા અને લાંબી લાઈનો છે. લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ વારો આવે ત્યાં સુધીમાં પેટ્રોલ ખૂટી જાય તેવી સ્થિતિ હોવાથી, આખરે કંટાળીને તેમણે પોતાનું વાહન ઘરમાં જ ઢાંકીને મૂકી દેવાનો નિર્ણય કર્યો છે.
