સુરેન્દ્રનગરમાં વસતા પરમાર પરિવાર દ્વારા શિક્ષણ અને સંગઠનને પ્રોત્સાહન આપવાના હેતુથી ચોથા ઇનામ વિતરણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સતવારા પરા સ્થિત જૂની ભોજન શાળા ખાતે રવિવારના રોજ આ પ્રસંગ ઉત્સાહભેર ઉજવાયો હતો.

આ કાર્યક્રમમાં પરમાર પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે ઝળકેલા રત્નોને બિરદાવવામાં આવ્યા હતા. જે અંતર્ગત:ધોરણ 5 થી 12 ના કુલ 48 વિદ્યાર્થીઓને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધે અને ભવિષ્યમાં વધુ પ્રગતિ કરે તેવા હેતુ સાથે આ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા માટે પરિવારના અગ્રણીઓ અને દાતાઓએ જહેમત ઉઠાવી હતી.શિલ્ડના દાતા પ્રવિણભાઇ પરમાર, કાંતીભાઇ માસ્તર, મહાદેવભાઇ પરમાર, ભગવાનભાઇ પરમાર, અને જગદિશભાઇ પરમાર સહિત સમગ્ર પરિવારે આર્થિક અને સામાજિક યોગદાન આપ્યું હતું. આ અવસરે આધ્યાત્મિક ક્ષેત્રના અગ્રણી એવા શક્તિમાના ભુવા દયારામ બાપા તથા મહાકાળીમાના ભુવા ગોવિંદભાઇનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.ઇનામ વિતરણ બાદ સમૂહ ભોજન (પ્રસાદ)નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પરમાર પરિવારના 3000થી વધુ સભ્યોએ હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો અને પરસ્પર સ્નેહમિલન ગોષ્ઠી કરી હતી.