સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી આગની ઘટનાઓને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ ફાયર વિભાગના બેડામાં અત્યાધુનિક સંસાધનોનો ઉમેરો કર્યો છે.
અગાઉ વિકરાળ આગ સમયે રાજકોટ કે મોરબીથી ફાયર ટીમો બોલાવવી પડતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે. પાલિકા દ્વારા 1.31 કરોડના ખર્ચે નવા હાઈ-ટેક ફાયર બ્રિગેડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ નવા ફાયર ફાઈટરની વિશેષતા એ છે કે તેમાં 12,000 લિટર પાણીના સંગ્રહની ક્ષમતા છે અને તે માત્ર 2 મિનિટમાં 6,000 લિટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ શકે છે. છેલ્લા 15 દિવસમાં મહાનગરપાલિકાએ કુલ 3.31 કરોડના ખર્ચે 3 નવા ફાયર બ્રિગેડ વસાવ્યા છે. આ વાહનોમાં હાઈ-પાવર એન્જિન હોવાથી તે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી પહોંચી આગ પર ત્વરિત કાબૂ મેળવી શકશે.
