BJP No Repeat Theory | સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ‘નો રિપીટ થિયરીની અટકળોએ જોગીઓની ઊંઘ હરામ કરી છે. જોકે, નવા ચહેરાઓને તક મળે તો ભીતરઘાત રોકવા ભાજપ માટે ડેમેજ કંટ્રોલ મોટો પડકાર બનશે
સુરેન્દ્રનગર મહાનગર પાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ‘નો રિપીટ’ થિયરી અપનાવવાની શક્યતાઓએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. એપ્રિલ-મે મહિનામાં યોજાનારી આ ચૂંટણીમાં પક્ષ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારશે તેવી અટકળો તેજ થતાં, બે-ત્રણ ટર્મથી ચૂંટાતા પીઢ નેતાઓમાં ફાળ પડી છે. પોતાની ટિકિટ કપાઈ જવાની બીકે અનેક મૂરતિયાઓ અત્યારથી જ પોતપોતાના રાજકીય આકાઓ અને ગોડફાધરોના શરણે પહોંચી લોબિંગ શરૂ કરી દીધુ છે.
જો પક્ષ તમામ વોર્ડમાં માત્ર નવા જ ઉમેદવારોને ઉતારશે, તો વર્ષોથી સક્રિય અને મજબૂત જનસંપર્ક ધરાવતા જૂના નેતાઓની નારાજગી પક્ષને ભારે પડી શકે છે. અનુભવી નેતાઓની અવગણના કરવાથી ચૂંટણીમાં ભીતરઘાતનો ખતરો વધી શકે છે, જેની સીધી અસર પરિણામો પર પડવાની સંભાવના છે. હવે ભાજપ હાઇકમાન્ડ નવા-જુના કાર્યકરો વચ્ચે સમન્વય સાધવા માટે કેવી રણનીતિ અપનાવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.