સુરેન્દ્રનગર-વઢવાણ મુખ્ય રોડ પર આવેલા મિલન સિનેમા પાસે ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ઉભરાતા ગંદા પાણી વેપારીઓની દુકાનો સુધી પહોંચી ગયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદા પાણી અને દુર્ગંધના કારણે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપાર પર માઠી અસર થઈ રહી છે.
વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે હાલાકી વધી છે. સેનિટેશન વિભાગને કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. જ્યારે પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરી જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વેપારીઓના મતે મહાનગરપાલિકા કરતા નગરપાલિકાનો વહીવટ ઘણો સારો હતો. હાલમાં આ વિસ્તારની હોટલો અને શોરૂમ ધારકોએ તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવા માંગ કરી છે.
