સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં ટાવર પાસે આવેલી ઐતિહાસિક જવાહરલાલ નહેરુ લાઈબ્રેરીના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.
લાઈબ્રેરીના મકાનને આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે ચાલી રહેલા રિનોવેશનને પગલે, તંત્ર દ્વારા લાઈબ્રેરીનું કામચલાઉ ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે. હવેથી આ લાઈબ્રેરી અજરામર ટાવર પાસે આવેલા ફાયર સ્ટેશનના પ્રથમ માળે કાર્યરત થશે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, નવીનીકરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લાઈબ્રેરીને ફરીથી તેના મૂળ સ્થાને ખસેડવામાં આવશે. ત્યાં સુધી તમામ વાચકો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને પુસ્તક પ્રેમીઓએ વાંચન તથા અન્ય સેવાઓ માટે અજરામર ટાવર ફાયર સ્ટેશન ખાતે સંપર્ક કરવાનો રહેશે.
તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી વાંચન પ્રેમીઓને રિનોવેશન દરમિયાન પણ સુવિધા મળતી રહેશે. આ આધુનિકીકરણ બાદ લાઈબ્રેરીમાં વાચકો માટે વધુ સારી સગવડો ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
