સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી અને વઢવાણને જોડતા બેઠેલા પુલના નવનિર્માણની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતા આ પુલ ડૂબી જતો હોવાથી તેને ઊંચો બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ લાંબા સમયથી કામ અધૂરું હોવાથી હજારો કામદારો અને વિદ્યાર્થીઓને વઢવાણ ધોળીપોળ થઈને લાંબો ધક્કો ખાવો પડે છે.
સૌથી ગંભીર બાબત એ છે કે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. નજીકમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં એમ્બ્યુલન્સને 3 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેના કારણે ઈમરજન્સી સમયે દર્દીઓના જીવ જોખમાય છે.
ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામ લટકી પડ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા પહેલા આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી જીઆઈડીસીના શ્રમિકો અને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.
