સુરેન્દ્રનગર શહેરમાં ગેસ સિલિન્ડરના સ્ટોક મુદ્દે તંત્ર અને જનતા વચ્ચે વિરોધાભાસી સ્થિતિ સર્જાઈ છે. વહીવટી તંત્ર પૂરતો સ્ટોક હોવાનો દાવો કરી રહ્યું છે, તેમ છતાં ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે.
મિડલ ઈસ્ટના દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને કારણે દરિયાઈ માર્ગે ગેસ સપ્લાય ખોરવાયો હોવાથી વિતરણ વ્યવસ્થા પર કાપ મૂકવામાં આવ્યો છે. હાલમાં નોંધણી કરાવ્યાના 25 દિવસ બાદ સિલિન્ડર મળી રહ્યા હોવાથી ગૃહિણીઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે.
ટેલિફોનિક બુકિંગ બંધ હોવાને કારણે લોકોને ફરજિયાત એજન્સી પર રૂબરૂ આવવું પડે છે, જ્યાં સર્વરની ખામી અને OTP જનરેટ ન થવા જેવી સમસ્યાઓ કલાકો સુધી ઉભા રહેલા ગ્રાહકોની મુશ્કેલી વધારી રહી છે.
બીજી તરફ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હવે લાકડા અને કોલસાના બળતણનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. જોકે, તંત્ર દ્વારા સંગ્રહખોરી રોકવા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ વિતરણ વ્યવસ્થા હજુ પણ પાટા પર આવી નથી.
