સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો ન થતા રહીશોએ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
પૌરાણિક ગણપતિ મંદિર પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાથી નબળું કામ કરનાર એજન્સી સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજ અને ભૂગર્ભ ગટરની સુવિધામાં સુધારો નહીં કરાય, તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
