Surendranagar Doctor Shortage | સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી આરોગ્યલક્ષી વ્યવસ્થા (Healthcare System) ભારે કથળી ગઈ છે. સમગ્ર જિલ્લામાં 40થી વધુ ડોક્ટરોની અછત (Shortage of Doctors) સામે આવી છે. સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) તાજેતરમાં કરાર આધારિત ડોક્ટરો છૂટા થઈ જતાં મેડિકલ ઓફિસરની (Medical Officer) 14 જગ્યાઓમાંથી માત્ર 2 જ ડોક્ટરો હાજર છે.
આ બે જ ડોક્ટરોના ભરોસે આખી હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે, જેના કારણે ડોક્ટરો પર માનસિક ભાર વધ્યો છે અને તેમને 12 કલાક સુધી ફરજિયાત ડ્યુટી (Duty) કરવી પડે છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે RMO (Resident Medical Officer)ને પણ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવવી પડી રહી છે.
સિવિલ હોસ્પિટલમાં રોજ 600થી વધુ દર્દીઓ (Patients) સારવાર માટે આવે છે, પરંતુ પૂરતો સ્ટાફ ન હોવાથી લાંબી લાઈનો લાગે છે અને દર્દીઓને કલાકો સુધી રાહ જોવી પડે છે.
આ અંગે સિવિલ સર્જન દ્વારા આરોગ્ય અધિકારીને લેખિત જાણ કરીને ડેપ્યુટેશન (Deputation) પર ડોક્ટરો મોકલવા માંગ કરાઈ છે. જોકે, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી (Chief Health Officer) ડો. બી. જી. ગોહિલે જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં આવેલા CHC અને PHC કેન્દ્રોમાં પણ 40% એટલે કે 38થી વધુ ડોક્ટરોની અછત છે.
રાજ્ય સરકાર દ્વારા નિમણૂક (Appointment) આપવામાં આવી હોવા છતાં ડોક્ટરો સુરેન્દ્રનગરમાં હાજર થતા નથી, જેના કારણે ગ્રામીણ દર્દીઓ ફરજિયાત પ્રાઇવેટ હોસ્પિટલમાં (Private Hospital) મોંઘી સારવાર લેવા મજબૂર બન્યા છે.
