ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનો (Board Exams) પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના 127 પરીક્ષા કેન્દ્રો (Exam Centers) પર પ્રથમ દિવસે માતૃભાષા ગુજરાતીનું (Gujarati) પ્રશ્નપત્ર અત્યંત સરળ રહેતા પરીક્ષાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી. જિલ્લામાં કુલ નોંધાયેલા 32,208 વિદ્યાર્થીઓમાંથી 31,814 છાત્રોએ પરીક્ષા આપી હતી, જ્યારે 394 વિદ્યાર્થીઓ ગેરહાજર (Absent) રહ્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક અને મોં મીઠું કરાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેનાથી વિદ્યાર્થીઓ તણાવમુક્ત (Stress-free) બન્યા હતા. પ્રશ્નપત્રમાં ‘स्वદેશી અપનાવો, દેશ સમૃદ્ધ બનાવો’, ‘મારો યાદગાર પ્રવાસ’ અને ‘હું એ શિક્ષકને ભૂલી ન શક્યો’ જેવા સરળ નિબંધો (Essays) પૂછાતા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પેપર લખ્યું હતું. સમગ્ર જિલ્લામાં પ્રથમ દિવસે ગેરરીતિનો (Cheating Case) એક પણ કેસ નોંધાયો નથી, જે તંત્રની સફળતા દર્શાવે છે. વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલમાં કલેક્ટર, એસ.પી.એ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી પ્રવેશ અપાવ્યો
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલ વિકાસ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિાક અને એસ.પી. પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિધાર્થીઓને ફુલ આપી તેમજ મીઠું મોઢું કરાવી સ્વાગત કર્યું હતું અને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. આ તકે કલેક્ટર તેમજ એસ.પી. દ્વારા વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ સાથે કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા
દાઘોડીયાની શાળામાં સૌ પ્રથમવાર ધો.૧૦નું કેન્દ્ર ફાળવાયું
મુળી તાલુકાના દાઘોડીયા સરકારી માધ્યમિક શાળામાં ચાલુ વર્ષે સૌ પ્રથમ વખત એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર ફાળવવામાં આવતા પ્રથમ દિવસે પરીક્ષાનો શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પ્રારંભ થયો હતો. આ તકે શાળાના આચાર્ય તથા સ્થળ સંચાલક સહિતનાઓ દ્વારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક કરી તેમજ ગુલાબનું પુષ્પ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કરી ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
લીંબડીમાં ધો.૧૦ના વિદ્યાર્થીને છાતીમાં દુખાવો ઉપડતાં હોસ્પિટલ ખસેડાયો
લીંબડી જી.કે. વિધલાયમાં ધો.૧૦ની બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થી ધામકને મુંઝવણ અને છાતીમાં દુખાવો ઉપડતાં આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ તાત્કાલિક સારવાર માટે૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં પાયલોટ અગરસંગભાઈ અને ઈએમટી નિશાબેન દ્વારા વિદ્યાર્થીને સરકારી હોસ્પિટલ ખાતે ખસવામાં આવ્યો હતો. અને વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર મળતાં તેની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.