સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તા.13 માર્ચના રોજ યોજાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષામાં જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી કુલ 5870 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિષય માટે કુલ 5953 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 83 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ચોરી કે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી.
બીજી તરફ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હિન્દી વિષયની પરીક્ષામાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં હિન્દી વિષય માટે કુલ 3 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 2 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ, માત્ર 2 વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર સુચારુ રીતે સંપન્ન થઈ છે.
જ્યારે ધો. 10માં ગુજરાતી વિષયના પેપરમાં 760 વિદ્યાર્થી હાજર અને ચાર વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.
