સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપમાં મોટા પાયે ભંગાણના સમાચાર સામે આવ્યા છે. લીંબડી-ચુડા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજના 50 થી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બનાવવામાં આવેલા કડક નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપે 60 વર્ષથી વધુની ઉંમર, 3 ટર્મ લડેલા ઉમેદવારો અને સગાવાદ પર રોક લગાવતા અનેક જૂના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
કોળી સમાજના 52 ગામોના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટાલીયાની આગેવાનીમાં આ પક્ષપલટો થયો છે. તેજાભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ છેલ્લા 8 થી 10 વર્ષથી જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને નવા લોકોને મહત્વ આપી રહી છે. આ અન્યાયને કારણે લીંબડી અને ચુડા વિસ્તારના આગેવાનોએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ આગેવાનોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 182 બેઠકોની ચૂંટણી પહેલા થયેલું આ ભંગાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની નેમ આ અગ્રણીઓએ વ્યક્ત કરી છે. ચૂંટણીના આરે ભાજપમાં સર્જાયેલી અંદરોઅંદરની નારાજગી હવે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.
