સાયલા તાલુકાના સુદામડા ગામમાં ચાલી રહેલા મોટા પાયે ગેરકાયદેસર પથ્થર ખનન મામલે પોલીસ અને ખાણ ખનીજ વિભાગની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. થોડા દિવસો પૂર્વે સાયલા પોલીસે દરોડો પાડીને 5 જેટલી ગેરકાયદેસર ખાણોમાંથી 14 મશીનો અને 38 ડમ્પરો જપ્ત કર્યા હતા.
આ મામલે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મશીન માલિકો અને ઓપરેટરોના નિવેદન નોંધતા આ ખનન પાછળ સક્રિય મુખ્ય સૂત્રધારોના નામ બહાર આવ્યા છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે સર્વે નંબર 1494 અને 1496 માં ચાલતી ખાણોમાં રાજાભાઈ રવુભાઈ ખાચર અને શિવરાજભાઈ હાથીભાઈ ખાચર દ્વારા ગેરકાયદેસર ખોદકામ કરવામાં આવતું હતું. જ્યારે અન્ય ત્રણ ખાણોમાં રામાભાઈ શામળાભાઈ સાંબડ દ્વારા મોટા પાયે ખનન પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાનું નિવેદનોમાં ખુલ્યું છે.
આ ઉપરાંત ‘ઓમ ક્વોરી’ નામે ચાલતી પાંચમી ખાણ સહિત તમામ સ્થળોના સર્વે નંબરના માલિકો અને વહીવટકર્તાઓ સામે પણ તપાસનો ગાળિયો કસાયો છે. ખનીજ વિભાગ હવે આ ચોરી કરેલા પથ્થરો કઈ જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા તે દિશામાં કાર્યવાહી કરી રહ્યું છે.
