સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં સીમ વિસ્તારમાં આવેલી એક વાડીના કૂવામાંથી અજાણ્યા યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. વાડી માલિક જ્યારે ખેતરે ગયા ત્યારે કૂવામાં લાશ તરતી હોવાનું માલૂમ પડ્યું હતું, જેની જાણ તાત્કાલિક સાયલા પોલીસને કરવામાં આવી હતી.
મૃતદેહ અત્યંત કોહવાયેલી હાલતમાં હોવાથી તેને બહાર કાઢવા માટે સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
સાયલા પીઆઈ ઉપાધ્યાય અને ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને કૂવા બહાર કાઢ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ લાશ આશરે 4 થી 5 દિવસ જૂની હોવાનું જણાય છે. હાલ મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, પરંતુ મોતનું સચોટ કારણ જાણવા માટે પેનલ પીએમ અર્થે રાજકોટ મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
સાયલા પોલીસે મૃતકની ઓળખ કરવા માટે આસપાસના ગામોમાં ગુમ થયેલા વ્યક્તિઓની વિગતો મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
