સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ગેરકાયદેસર ખનન માફિયાઓ વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસે બાતમીના આધારે ચોરવીરા ગામના વિસ્તારમાં ચાલતી કાર્બોસેલની ગેરકાયદેસર ખાણો પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. આ ઓપરેશન દરમિયાન પોલીસે કાર્બોસેલના 7 કૂવાઓ શોધી કાઢ્યા હતા, જ્યાં ખનીજ ચોરીનું મોટું નેટવર્ક કાર્યરત હતું.
પોલીસની આ રેડમાં ખનન માટે ઉપયોગમાં લેવાતા સાધનો સહિત કુલ 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સામાનમાં 1 લોડર, 2 ટ્રેક્ટર, 1 જનરેટર, 10 પાઈપો, 5 બકેટ અને અંદાજે 180 મેટ્રિક ટન કાર્બોસેલનો જથ્થો શામેલ છે. પકડાયેલા તમામ સાધનો અને ખનીજ જથ્થાને સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગની કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ મામલે હવે આગળની તપાસ ખાણ-ખનીજ વિભાગ (Geology and Mining Department) ને સોંપવામાં આવી છે. વિભાગ દ્વારા આ કૂવાઓમાંથી અત્યાર સુધીમાં કેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની ચોક્કસ માપણી કરવામાં આવશે અને તેના આધારે જવાબદારોને લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. સાયલા પોલીસની આ કડક કાર્યવાહીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. લાંબા સમયથી ચોરવીરા વિસ્તારમાં કાર્બોસેલનું ખનન બંધ થવાનું નામ લેતું નહોતું, ત્યારે આ કાર્યવાહી એક મોટો ફટકો સાબિત થશે.
